રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે 15 જૂનના રોજ નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે.
.
ગતરોજ રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, ગોંડલ, ચોટીલા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ગોંડલમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો તો રાજકોટમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ વીજળી પડવાની પણ ઘટના બની હતી. રાજકોટમાં વિજળી પડતા એક વ્યક્તિનું તેમજ 14 ઘેટા-બકરાના મોત થયાં હતા. તો દાહોદમાં પિતા-પુત્રનું અને બે બળદનું મોત થયું હતું. જ્યારે માંગરોળમાં મહિલાનું મોત થયું હતું. તેમજ કાલોલ તાલુકાના મોકડ ગામે આકાશી વીજળી પડતાં સરપંચનું મોત નિપજ્યું હતું.
આજે 15 જૂનના રોજ ગુજરાતના જિલ્લાઓમાં નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. એ સિવાય 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર અને દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરામાં નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદની સંભાવના છે.